કવિતા વિષે ચાટુક્તિઓ Poem by Harish Meenashru

કવિતા વિષે ચાટુક્તિઓ

કવિતા
રહેમદિલીથી ભોંકી દે છે
જમૈયો
તમારા જિગરમાં

કતલના હેતુ વિષે હોતી નથી કોઈને ખબર
મારનાર ઈસમ પણ નિશ્ચિતપણે બતાડી શકતો નથી કતલનું સ્થળ

જ્યારે ઊલટતપાસ થાય છે ત્યારે ખબર પડે છે કે બધા જ ચશ્મદીદ ગવાહો
ખરે વખતે મશગૂલ હતા આંખો મીંચીને સ્વપ્ન જોવામાં
ને સ્વપ્નના વર્ણનમાં વ્યક્તિએ વ્યક્તિએ હોય છે પાઠફેર

છેવટે જ્યારે જપ્ત કરવામાં આવે છે
કતલનું હથિયાર
ત્યારે એ હોય છે
એકાદ પલાશનું ફૂલ, લોહીના લયથી ખરડાયેલું

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success